છોટાઉદેપુર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ધરણા યોજવા, રેલી કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડ ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટની હુકુમત હેઠળના વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર, જિલ્લાના બોડેલી, કવાંટ, જેતપુર પાવી, નસવાડી તથા સંખેડા તાલુકા સેવાસદનની બહાર કે દર જિલ્લા/તાલુકા સેવાસદનના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં આ જાહેરનામા અન્વયે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓને એકીસાથે કોઇ પણ જગ્યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધણા, આવેદનપત્ર આપવા, પ્રતિક ધરણા, ભુખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા સંગઠિત થઇ રેલી કાઢવા ઉપર મનાઇ ફરમાવી છે. આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડઝ જેઓ ફરજ ઉપર હોય તથા સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહિં. આ હુકમ તા. ૨૩/૦૯/૨૦૨૦ થી તા.૦૭/૧૦/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૩) હેઠળ અને ભારતના ફોજદારી અધિનિયમ-૧૯૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment